પ્રાતઃપૂજા

pratah puja

પ્રાતઃપૂજા એ વૈદિક પરંપરાનો એક મહત્વપૂર્ણ નિત્યક્રમ અને આદર્શ જીવનપદ્ધતિનું અગત્યનું અંગ છે.

પ્રાતઃપૂજા એ ભગવાનના ભક્ત દ્વારા દરરોજ સવારે કરવામાં આવતી એક પ્રાર્થના છે. 

એક ભક્ત પૂજા દરમિયાન ભગવાન સાથે તન્મયતાથી જોડાઈ પોતાની લાગણીઓની અભિવ્યક્તિ કરી શકે છે.

ભગવાન શ્રી સ્વામિનારાયણે વચનામૃત અને શિક્ષાપત્રીમાં પોતાના આશ્રિતોને નિત્યપૂજા કરવાની આજ્ઞા કરેલ છે. ભગવાનની પ્રાતઃપૂજા સાથે શરૂ થયેલો દિવસ પ્રસન્નતાથી પ્રસાર થાય છે. 

ઈશ્વર આરાધનાનો સર્વોત્તમ કાળ બ્રાહ્મમુહુર્ત  છે, આથી ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના આશ્રિતોને સૂર્યોદય પહેલા ઉઠવાની આજ્ઞા આપીને તેમના આધ્યાત્મિક અને દૈહિક આરોગ્યનું જતન કર્યું છે. 

ભગવાન પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવા, જીવાત્માના મોક્ષ માટે, અંતઃકરણની શાશ્વત શાંતિ માટે અને પરમાત્માના દિવ્ય સુખની અનુભૂતિ માટે પ્રાતઃપૂજા કરવી અનિવાર્ય છે. 

માનસી પૂજા એવા ભાવથી કરવી જાણે આપણે પ્રત્યક્ષ શ્રીજી મહારાજની પૂજા કરી રહ્યા છીએ. હું પ્રભુનો દાસ છું. સુવર્ણમહેલમાં સુવર્ણના પલંગ પર પોઢેલા પ્રભુને આદરપૂર્વક વંદના કરી જગાડું છું. મારી પ્રાર્થના સાંભળી પ્રભુ જાગ્યા. શ્રીજી મહારાજ સુવર્ણ બાજોઠે બીરાજમાન થયા, સુગંધીમાન દાતણથી દંત શુદ્ધી કરી મુખ શુદ્ધી કરીને શ્રીજી મહારાજે વિવિધ પ્રકારના ઔષધિ દ્રવ્ય અને કેસર યુક્ત જળથી સ્નાન કર્યું. 

મેં શ્રીજી મહારાજને ઋતુ અનુસાર અમુલ્ય ભારે ભારે વસ્ત્રો અને આભુષણો ધરાવ્યા, ત્યારબાદ પ્રેમભાવથી થાળ જમાડ્યો. 

ત્યાર બાદ દંડવત કરીને સ્તુતિ પ્રાર્થના કરવી કે હે પ્રભુ આપ મારી પૂજામાં પધારો. આમ માનસી પૂજા પૂર્ણ કરવી. 

ઉતિષ્ઠોત્તિષ્ઠ હે નાથ ! સ્વામિનારાયણ પ્રભો  

ધર્મસૂનો દયાસિંધો સ્વેષાં શ્રેયઃ પરં કુરુ ।। 

ઉત્તિષ્ઠોત્તિષ્ઠ ગોવિંદ ! ઉત્તિષ્ઠ ગરુડધ્વજ

ઉત્તિષ્ઠ કમલાકાન્ત ! ત્રૈલોકયં મંગલં  કુરુ ।। 

આગચ્છ ભગવન્ ! દેવ ! સ્વસ્થાનાત્પરમેશ્વર। 

અહં પૂજાં કરિષ્યામિ, સદા ત્વં  સન્મુખો ભવ ।। 

અપરાધ સહસ્ત્રાણિ ક્રિયંતે અહર્નિશં  મયા ।

દાસો અયમિતિ માં મત્વા ક્ષમસ્વ પુરુષોત્તમ ।। 

હે પુરુષોત્તમ, હે પ્રભુ, હે દયાળુ મારાથી જાણે અજાણે દિવસ-રાત હજારો અપરાધો થાય છે. પરંતુ હે પ્રભુ ! મને આપનો દાસ જાણી મને ક્ષમા કરજો. મને સત્સંગ અને સદબુદ્ધિ આપજો. કુડાપંથી, શક્તિપંથી, શુષ્કવેદાંતી અને નાસ્તિક એ ચાર પ્રકારના કુસંગી થકી મારી રક્ષા કરજો. હે મહારાજ! કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ઈર્ષા અને દેહાભિમાન એ આદિક જે અંતઃશત્રુ તે થકી મારી રક્ષા કરજો અને નિત્ય તમારા સંતો-ભક્તોનો સમાગમ દેજો. 


સ્વસ્થાનં ગચ્છ દેવેશ પૂજામાદાય મામકીમ્  

ઈષ્ટકામ પ્રસિદ્ધિયર્થં  પુનરાગમનાય ચ ।।

હે દેવાધિદેવ ! હે મહારાજ ! મારી પૂજા સ્વીકારી મારા હૃદયમાં પધારો અને સદા બિરાજમાન રહો.

પૂજા પેટીમાં ઠાકોરજીની સામગ્રી હોવાથી આપણે બેસવાના આસનને પૂજાપેટીની અંદર નહીં પરંતુ બહાર રાખવું અને પૂજા પવિત્ર સ્થાને મુકવી. 

।। જય શ્રી સ્વામિનારાયણ ।।